Explore Themes

Samvatsari Pratikraman| 26,00,000+ Aaradhaks

images
Language : Gujarati

રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે ઉજવાઈ રહ્યા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ

આવતીકાલે સંવત્સરીની અનેરી આરાધનામાં 26 લાખથી વધુ ભાવિકો આલોચના દ્વારા ભવોભવના પાપ-દોષોની વિશુદ્ધિ કરશે

સિધ્ધક્ષેત્રના રચાયેલા સુંદર પ્રતીક પર બેસીને અનેક ભાવિકોએ કરેલી સિધ્ધત્વની ભાવયાત્રાના દ્રશ્યો હજારો હૃદય પર સિધ્ધત્વ પામવાના બીજ રોપી ગયાં

અણસમજુને ગેરસમજ થાય, સમજુ વ્યક્તિને કદી ગેરસમજ થતી નથી.

જે ઘરના વડીલો મૌન રાખે છે તે ઘરના નાનાઓને તેમના પ્રત્યે માન વધારે છે.

સદગુણોને recharge કરવા માટે પધારે છે પર્વાધિરાજ.

– રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ

જીવનને અશાંત બનાવી દેનારા અવગુણોને ત્યજીને શાંતિનું સર્જન કરનારા સદગુણોને ખીલવવાનો પાવન સંદેશ આપીને કચ્છના પુનડી ગામથી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે ઉજવાઈ રહેલા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના સાતમ દિવસે સમગ્ર દેશના ખૂણે ખૂણેથી તેમજ વિદેશના 156થી વધુ દેશના મળીને લાખો ભાવિક પ્રત્યક્ષ તેમજ લાઈવના માધ્યમે જોડાઈને ધન્યાતિધન્ય બની રહ્યાં છે.

જન્મ-જન્માંતરનું હિત કરાવી દેનારી પાવન વાણી વહાવતાં પરમ ગુરુદેવે સમજાવ્યું હતું કે, જીવન છે ત્યાં સંયોગો છે, જીવન છે ત્યાં સંબંધો પણ છે પરંતુ મીઠા સંબંધોને પણ disturb કરનારું જો કોઈ એક તત્ત્વ હોય તો તે છે ગેરસમજણ. લાઇફના મોટાભાગના પ્રોબ્લેમ ગેરસમજણથી ઊભા થતાં હોય છે. પરંતુ પરમાત્મા કહે છે, સામેવાળી વ્યક્તિની પરિસ્થિતિ, એના અંદરની સ્થિતિને સમજનારા કદી ગેરસમજમાં નથી આવતા. અણસમજુ વ્યક્તિને જ ગેરસમજણ થતી હોય. સમજુ વ્યક્તિ ને કદી કોઈ માટે ગેરસમજણ નથી થતી. અણસમજના કારણે ઊભી થતી ગેરસમજ માત્ર સામેની વ્યક્તિને જ નહીં પરંતુ સ્વયંને પણ અશાંત બનાવી દેતી હોય છે. ગેરસમજણને ટાળવા, ગેરસમજણથી ઊભી થતી અશાંતિ અને પ્રોબ્લેમ્સને ટાળવા અંદરની સમજને વધારીએ. સામેવાળાની સ્થિતિ- પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરીએ.

હૃદયને સ્પર્શી જતા પરમ ગુરુદેવના આવા અમૃત વચનો સાથે જ આ અવસરે સેંકડો ભાવિકોએ પોતાના સ્વજન પર હાથ ન ઉપાડવાના કે bad words ન બોલવાની પ્રતિજ્ઞા કરીને પર્વાધિરાજ પર્વના ક્ષમા અને સમભાવના સંદેશ ને ચરિતાર્થ કરવા સંકલ્પબધ્ધ બન્યા હતાં.

વિશેષમાં ડુંગર દરબારમાં રચાયેલા સિધ્ધશિલાના પ્રતીક પર બેસાડીને ભાવિકોને પરમ ગુરુદેવની ભાવવાહી શૈલીમાં ગીત-સંગીતના તાલે કરાવવામાં આવેલી સિધ્ધત્વની યાત્રાના અદભુત દ્રશ્ય હજારો ભવ્ય જીવોની આત્મધરા પર ભાવિની ભગવંતતાના બીજ રોપીને અત્યંત સંવેદના પ્રસારી ગયાં હતા .

પરમ ગુરુદેવના સાંનિધ્યે પુનડી ગામના ક્ષત્રિય, પટેલ, ગોસ્વામી આદિ જૈનતર જ્ઞાતિના સેંકડો ભાવિકો પણ આ પર્વાધિરાજમાં જ્ઞાન, સાધના અને માસક્ષમણ તપ, ધર્મચક્ર તપ, 21 ઉપવાસ, 16-11-9 ઉપવાસ અને અઠાઈ તપની આરાધના સાથે જિનશાસનને ગૌરવ બક્ષી રહ્યાં છે ત્યારે દેશ અને વિદેશના પણ અનેક ક્ષેત્રોના સેંકડો ભાવિકો ઉગ્રાતિઉગ્ર તપશ્ચર્યા, જ્ઞાન સાધના, તપ-ત્યાગ અને અનેક પ્રકારની સાધના-આરાધના સાથે પુનડીમાં ઉજવાઈ રહેલો ક્ષમાપના ઉત્સવ સર્વત્ર દીપી રહ્યો છે.

આવતીકાલના પર્વના અંતિમ દિવસે તારીખ 31/08/2022 બુધવારે પરમ ગુરુદેવના સાંનિધ્યે લાખો ભાવિકો જનમ- જનમના પાપદોષોની વિશુદ્ધિ સ્વરૂપ સંવત્સરી આલોચના, પ્રતિક્રમણ કરીને ધન્યાતિધન્ય બનશે. સર્વ આયોજન યુટયુબ, ફેસબુક, ઝૂમ લાઈવ, તેમજ સોહમ ટી.વી. ચેનલ અને સંતવાણી ટી.વી.ચેનલ પર લાઈવ દર્શાવવામાં આવશે. આ અવસરે સૌ ધર્મપ્રેમી ભાવિકોને પ્રત્યક્ષ તેમજ લાઈવના માધ્યમે જોડાઈને પોતાનું આત્મકલ્યાણ કરી લેવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

Related Themes

To Book contact:

Shri Hiteshbhai Shah: +91 7980790872
Shri Vishalbhai Hemani: +91 831067208