Explore Themes

Manavta Mahotsav 2022

images
Language : Gujarati

માનવતારૂપી પેનથી આત્મારૂપી પાર્સલને પ્રભુના એડ્રેસ પર ડિલિવર કરી દેવાના મહામંગલકારી વિશ્વ વ્યાપી સંદેશને પ્રસારીને કચ્છના પુનડી ગામમાં ઉજવાયેલો માનવતાપ્રેમી વિશ્વવંદનીય રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના 52nd જન્મોત્સવનો માનવતા મહોત્સવ લાખો દુઃખી જીવોને શાતા-સમાધિ પમાડતી માનવતાના મોતી વેરી ગયો હતો.

પરમ ગુરુદેવને જન્મોત્સવની અભિવંદના અર્પણ કરવા દિવસોથી આતુર બની રહેલા સમગ્ર મુંબઈ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, ગુજરાત દિલ્હી, ચેન્નઈ, બેંગ્લોર આદિ દેશના ખૂણે ખૂણેથી તેમજ વિદેશના 156થી વધુ ક્ષેત્રોના મળીને 25 લાખથી વધુ ભાવિકો પુનડી ગામમાં પ્રત્યક્ષ તેમજ લાઈવના માધ્યમે આ માનવતાના મહોત્સવમાં જોડાઈને ગુરુ જન્મોત્સવના વધામણા કરીને ધન્ય બન્યા હતા.

અનેક ક્ષેત્રોના જૈન જાગૃતિ સેન્ટર્સના ભાવિકો, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી નિમાબેન આચાર્ય, “તેરી મિટ્ટી મેં મિલ જાવા”લોકપ્રિય દેશભક્તિ ગીતના રચયિતા શ્રી મનોજભાઈ મુંતશિર આદિ, ગોંડલ સંપ્રદાયના શ્રી પ્રવીણભાઈ કોઠારી, શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ, તેરા ગામના રાજવી પરિવારના શ્રી ઉષ્મેન્દ્રસિંહજી, વિરાયતના શ્રી શિલાપીજી, આદિ મહાનુભાવોની સાથે અનેક સંઘ શ્રેષ્ઠીવર્યોએ વિશેષરૂપે પુનડીમાં ઉપસ્થિત રહીને આ મહોત્સવની અનુમોદના કરી હતી.

હજારો હૃદયનીભીની ભક્તિની વચ્ચે લહેરાતા ધર્મ ધ્વજ, સ્વાગત નૃત્ય, અષ્ટમંગલના માંગલ્ય અને પારંપરિક છત્રની છાયામાં પરમ ગુરુદેવના ડુંગર દરબારમાં આગમન વધામણા કરીને સૌએ ગુરુભક્તિના અદભુત દર્શન કરાવ્યા હતા.

પરમ ગુરુદેવે સમજાવ્યું હતું કે, આ જીવનને શક્ય હોય તો સાધનાથી શુદ્ધ કરવું અને સાધના શક્ય ન હોય તો જીવનને માનવતાથી વિભૂષિત કરવું તે જ માનવ ભવની સાર્થકતા છે. માનવતાના આ મધુર બોધની સાથે ઉપસ્થિત દરેક હૃદય પરમ ગુરુદેવની કરુણા ભાવનાને વંદી રહ્યા જ્યારે, accident કે દુર્ઘટનામાં ઘાયલ થયેલા વેદનાથી પીડાતા હજારો પશુઓને તાત્કાલિક સારવારની પ્રાપ્તિ અર્થે 11 અર્હમ એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યુ. ઉપરાંતમાં પાંજરાપોળ કે પક્ષીઘરમાં ગયા વિના પણ ઘરમાં બેઠા બેઠા માત્ર એક વીડિયો કોલ પર અબોલ જીવોની ક્ષુધા તૃપ્તિ કરાવતો અર્હમ ઓનલાઇન જીવદયા પ્રોજેક્ટ આ અવસરે લોંચ કરવામાં આવ્યો હતો. એની સાથે સાથે અનેક ગરીબ સાધર્મિક બહેનો પાસેથી રોટલી ખરીદીને દરરોજ સેકડો ગરીબ ભાવિકોને ભોજન કરાવનારા “મીલ્સ ઓન વ્હીલ્સ” પ્રોજેક્ટ લોકાર્પણ કરવામાં આવતા સાધર્મિક સહાય અને ભોજનદાનના પાવન સત્કાર્યનો પ્રારંભ થયો હતો. ગુજરાત સૌરાષ્ટ્રની અપંગ ગાયોને આર્ટિફિશિયલ લીંબ બેસાડીને એમને દોડતી કરતા અર્હમ અનુકંપા પ્રોજેક્ટનું લોકાર્પણ થતાં હર્ષનાદ છવાયો હતો. માતુશ્રી વિમાળાબેન દિલીપભાઈ મહેતાની સ્મૃતિમાં રાજકોટના અબોલ જીવોની દરરોજ ક્ષુધા તૃપ્તિ કરાવનારા જીવદયા રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ કરુણા ફાઉંડેશનને 21 લાખ રૂપિયા ડોનેશન જાહેર કરવામાં આવ્યા હતા.

સમગ્ર કચ્છની 52 ગૌશાળાઓને આ અવસરે અર્હમ યુવા સેવા ગ્રુપના ઉપક્રમે 52000/- રૂ.ની ઘાસચારાની સહાય ઘોષિત કરવામાં આવી હતી. એની સાથે પુનડી ગામની સેંકડો ગાયોને 32 પકવાન સાથેનું રજવાડી ભોજન કરાવીને જન્મોત્સવના વધામણા કરવામાં આવ્યા હતા.

વિશેષમાં સંઘ, સમાજ, સંપ્રદાય અને રાષ્ટ્ર માટે અનન્ય સેવા બજાવીને અનેરા યોગદાન દ્વારા જીવનને પરમાર્થમય બનાવનારા એવા કચ્છના શ્રી નવનીત પરિવાર, લીલાવતી હોસ્પિટલના કાયમી ટ્રસ્ટી શ્રી રેખાબેન શેઠ, શ્રી વર્ધમાન જીવદયા કેન્દ્ર લુણીના ટ્રસ્ટી શ્રી વસનજીભાઈ પ્રેમજી સોની, બિદડા સર્વોદય ટ્રસ્ટના શ્રી લક્ષ્મીચંદભાઈ રાંભિયા- બચુભાઈ, સમાજસેવક શ્રી તારાચંદભાઈ જગશી છેડાને જીવન સાર્થક સન્માન તેમજ યસ બેન્કના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી અતુલભાઇ ભેદા, કારગીલ યુદ્ધના વીર લડવૈયા શ્રી સહદેવસિંહજી ઝાલા, વિરાયતનના આચાર્ય શ્રી ચંદનાજીના શિષ્યા શ્રી શિલાપીજી, અબોલ જીવોની રક્ષા કરવા તત્પર શ્રી હિતભાઈ રિપુલભાઈ શાહ તેમજ શ્રી નિકુલભાઈ માલવણિયાને ગૌરવવંતા પરમ એવોર્ડ એનાયત કરીને એમની સેવાને બિરદાવવામાં આવી હતી.

આ અવસરે શ્રી શિલાપીજીએ જન્મોત્સવની શુભેચ્છા અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી નીમાબેને પરમ ગુરુદેવ પ્રત્યે અહોભાવ અર્પણ કરીને જન્મોત્સવની શુભેચ્છા અર્પણ કરી હતી. ગોંડલ સંપ્રદાયના શ્રી પ્રવીણભાઈ કોઠારી અને શ્રી ચંદ્રકાંતભાઈ શેઠે પરમ ગુરુદેવને સર્વત્ર ધર્મની વસંત સર્જી દેનારા સંત અને પગલે પગલે પુણ્ય તેમજ સંસ્કારોના ઢગલા સર્જી દેનારા સંત સ્વરૂપે ઓળખાવીને જન્મોત્સવની શુભેચ્છા આપી હતી.

પરમ એવોર્ડ વિજેતા શ્રી સહદેવસિંહજી ઝાલાએ કારગિલ યુદ્ધ સમયના સંઘર્ષને સ્મૃતિ પટ પર લાવીને ભાવભીની અભિવ્યક્તિ કરતાં સહુ અહોભાવિત બન્યા હતા. “તેરી મિટ્ટી મેં મિલ જાવા”ગીતના રચયિતા શ્રી મનોજભાઈ મુંતશિરે શુભેચ્છાની સુંદર અભિવ્યક્તિ કરી હતી. અભિમંત્રિત મંગલ કલશની ઉછામણીનો અમૂલ્ય લાભ શ્રી અવંતીભાઈ કાંકરિયા, શ્રી સાગરભાઈ ભાયાણી, શ્રી સૌરભભાઈ ધોળકિયા, શ્રી વિશાલભાઈ પારેખ, શ્રી હર્ષિતભાઈ તેજાણી, શ્રી સુનિલભાઈ શાહ, શ્રી તપનભાઈ શાહ, શ્રી ચિરાગભાઈ શાહ, શ્રી ધવલભાઈ છેડા, આદિ પરિવારો દ્વારા લેવામાં આવ્યો હતો. પરમ ગુરુદેવને લાડવા વહોરાવવાનો અનન્ય લાભ શ્રી મૂલરાજભાઈ છેડા – SPM પરિવાર, માતુશ્રી તારાબેન ચૂનીલાલ મોદી- બાદશાહ પરિવાર, શ્રી જીગરભાઈ શેઠ પરિવાર તેમજ શ્રી પ્રદીપભાઈ મહેતા પરિવાર લઈને ધન્ય બન્યા હતા.

એક તરફ આજીવન નોનવેજ ત્યાગ, આજીવન સી ફૂડ ત્યાગની કેટલાક ભાવિકોની ભેટ સાથે પુનડીના અનેક જૈનેતર ભાવિકોએ કદી પણ અપશબ્દ ન બોલવાની પ્રતિજ્ઞા પરમ ગુરુદેવના ચરણે ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી.

પુનડી ગામના બાળકો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી અદભુત ગુરુ વંદના, સામાયિક સૂત્ર પઠન, તેમજ ભવિષ્યમાં કદી નોનવેજ ન ખાવાના અને માતા-પિતાની સેવા કરવાના વચન આપવા સાથે પરમ ગુરુદેવના જીવન આધારિત નૃત્ય નાટિકા, ઔરંગાબાદ લુક એન લર્નના બાળકોની સુંદર પ્રસ્તુતિ અને પૂજ્ય શ્રી પરમ મહાસતીજી વૃંદ તેમજ અનેક ભાવિકો દ્વારા પરમ ગુરુદેવના ગુણોને દર્શાવતી 52 શાલની અર્પણતાના દ્રશ્ય, SPM પરિવારના શ્રી મુલરાજભાઈ છેડા દ્વારા આપવામાં આવેલા સુંદર આવકાર સાથે આ અવસર પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ, અને માનવતાની ભક્તિનો અનુપમ ત્રિવેણી સંગમ બની ગયો.

Tag Not Include
Related Themes

To Book contact:

Shri Hiteshbhai Shah: +91 7980790872
Shri Vishalbhai Hemani: +91 831067208