Mahaprabhavak Uvasaggaharam Stotra Jaap by Param Gurudev Shri Namramuni MS in Mumbai

Language : Gujarati
મુંબઈમાં 5 વર્ષ બાદ ફરી એકવાર સંભળાશે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના બ્રહ્મનાદે મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રનો નાદ
ઉપસ્થિત હજારો ભાવિકો સ્વયંના હસ્તે તપકેસરી પૂજ્ય શ્રી પરમ પવિત્રમુનિ મહારાજ સાહેબને પારણું કરાવી શકે તેવું વિશિષ્ઠ આયોજન
ઘોર તપસ્વીના તપોત્સવની અનુમોદના કરવા પધારશે વિવિધ સંપ્રદાયના 100થી વધુ સંત-સતીજીઓ અને હજારો ભાવિકો
સમગ્ર જિનશાસનને એક અનેરુ ગૌરવ બક્ષીને ગોંડલ સંપ્રદાયના છેલ્લા 200 વર્ષના ઇતિહાસમાં કદી કોઈએ ન કરી હોય એવી 187 દિવસની આરાધનામાં 154 ઉપવાસ સ્વરૂપ લઘુસિંહનિષ્ક્રીડીત મહાતપ સાધના કરનારા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્ય તપકેસરી પૂજ્ય શ્રી પરમ પવિત્રમુનિ મહારાજ સાહેબના તપની નિર્વિઘ્ન પૂર્ણાહુતિ એ પારણા અવસર અને મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહર સ્તોત્રની મહાજપ સાધના અને શ્રી ઉવસગ્ગહર સ્તોત્ર યંત્ર પૂજનનું વિશિષ્ટ આયોજનતા:13/03/2022 ના દિવસે આગામી રવિવારે, સવારના 9:00 કલાકે પાવનધામ કાંદિવલીની બાજુમાં ડુંગર દરબાર, કમલા વિહાર સ્પોર્ટ્સ ક્લબની સામે, મહાવીર નગર, કાંદિવલી (વે.) ખાતે યોજાયો છે.
આ અવસરે મુંબઈમાં બિરાજમાન લીંબડી અજરામર સંપ્રદાયના આચાર્ય પૂજ્ય શ્રી ભાવચંદ્રજી સ્વામી આદિ સંતો, કચ્છ આઠ કોટી મોટી પક્ષ સંપ્રદાયના આચાર્ય પૂજ્ય શ્રી ભાઈચંદ્રજી સ્વામી આદિ સંતો, ગોંડલ સંપ્રદાયના ડો. પૂજ્ય શ્રી તરૂલતાબાઈ મહાસતીજી આદિ 70 સાધ્વીજી, બોટાદ સંપ્રદાયના પૂજ્ય શ્રી વંદનાબાઈ મહાસતીજી આદિ, ગોંડલ સંઘાણી સંપ્રદાયના પૂજ્ય શ્રી મીનાબાઈ મહાસતીજી, લીંબડી અજરામર સંપ્રદાયના પૂજ્ય શ્રી શિલપ્રભાબાઈ મહાસતીજી આદિ ઠાણા મળીને વિવિધ સંપ્રદાયના 100થી વધુ પૂજનીય સંત-સતીજીઓ, જૈન સંઘો, સંસ્થાઓ, દેશ-વિદેશના અનેક ક્ષેત્રોથી હજારો લાખો ભાવિકો પ્રત્યક્ષ તેમજ લાઈવના માધ્યમે વિશેષ ભાવો સાથે આ તપોત્સવમાં જોડાઈ જશે.
અખંડ જપસાધના દ્વારા સ્તોત્રને સિદ્ધ કરનારા પરમ ગુરુદેવના નાભિના નાદ સાથે પ્રગટ થતી અને લયબધ્ધ સ્વરૂપે કરાવવામાં આવતી આ સ્તોત્રની જપસાધના જ્યારે હજારો હજારો ભાવિકોના જીવનની આધિ, વ્યાધિ, ઉપાધિને સમાવી શાંતિ-સમાધિનું સર્જન કરાવી રહી છે ત્યારે વિશેષરૂપે મુંબઈના ભાવિકોને ફરીને પ્રભુ ભક્તિમાં લીન-તલ્લીન બનાવવા આ અવસર આયોજિત કરવામાં આવ્યો છે.
સમગ્ર તપોત્સવનો લાભ માતુશ્રી તારાબેન ચુનીલાલ મોદી-બાદશાહ પરિવાર તેમજ શ્રી એસ.કે. પરિવાર આદિ ભાવિકો લઈને ધન્ય બન્યા છે. આ અવસરે પધારનારા દરેક ભાવિકો માટે નવકારશી તેમજ ગૌતમ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંતમાં, માતુશ્રી માલતીબેન પ્રવીણભાઈ કોઠારીની અનુમોદના ભાવના સાથે મુંબઈના વસઈ, મીરારોડ, ડોમ્બીવલી, મુલુંડ, પારસધામ – ઘાટકોપર, હિંગવાલાલેન-ઘાટકોપર, ભાયંદર, દાદર, માટુંગા, તાડદેવ અને તમામ જૈન સંઘોમાંથી ભાવિકો માટે બસની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. દરેક ધર્મપ્રેમી ભાવિકોને તપ અનુમોદના અને પ્રભુ ભક્તિના સંગમ સ્વરૂપ આ અવસરે પધારવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

Subscribe to Whatsapp Broad cast