Bhagwan Mahavir Janmotsav| 14 Mahaswapna
Language : English
14 મહાસ્વપનોની દિવ્ય વણઝારના દર્શને દેશ-વિદેશના લાખો ભાવિકો શ્રદ્ધા- ભક્તિભાવે પ્રભુ જન્મોત્સવના વધામણા લેશે
પ્રભુ જન્મોત્સવ નિમિત્તે હજારો ગરીબ પરિવારોને મિષ્ટ લાડવાના વિતરણ સાથે અનેક સત્કાર્યોનું આયોજન
આ અવની પર જેમનું અવતરણ અનંત જીવો માટે કલ્યાણનું કારણ બની રહ્યું એવા જૈન દર્શનના 24માં તીર્થંકર ભગવાન મહાવીરના જન્મોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે કચ્છના પુનડી ગામ ખાતે આવતીકાલ રવિવાર, સવારના 09:00 કલાકે કરવામાં આવ્યું છે.
પુનડી ગામના વતની અને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ આદી 42 સંત- સતીજીઓના કલ્યાણકારી ચાતુર્માસનો સમગ્ર લાભ લેનાર શ્રી SPM પરિવારના સહયોગે પરમ ગુરુદેવના સાંનિધ્યે ઉજવાઈ રહેલા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના વ્યતિત થઈ રહેલા એક પછી એક દિવસ સર્વત્ર જિનશાસનની ધજા -પતાકા લહેરાવીને અનેક આત્માઓને ધન્ય બનાવી રહ્યા છે ત્યારે, રવિવારે આયોજિત પ્રભુ જન્મોત્સવના અવસરે પુનડી ગામના પટેલ, ક્ષત્રિય, ગોસ્વામી આદિ અનેક જ્ઞાતિના પરિવારો ઉપરાંત સમગ્ર ભારતના ખૂણે-ખૂણેથી તેમજ વિદેશના લાખો ભાવિકો પ્રત્યક્ષ તેમજ લાઈવના માધ્યમે જોડાઈને પ્રભુ જન્મોત્સવના ભક્તિભીના વધામણા લેવા આતુર બની રહ્યા છે.
વિશેષમાં પ્રભુ મહાવીરના અવતરણ સમયે માતા ત્રિશલાદેવીને આવેલા 14 મહાસ્વપ્નની દિવ્ય વણઝારના દર્શન સાથે પ્રભુના અપ્રતિમ ગુણોને પ્રગટ કરતા કરતા ગીત-સંગીત-કીર્તન અને ભક્તિ ભાવથી ‘ત્રિશલાનંદન વીર કી જય બોલો મહાવીર કી’નો નાદ ગજાવી પ્રભુ જન્મોત્સવના વધામણાઓ લેવામાં આવશે.
પ્રભુની ભક્તિમાં તન્મય બનેલા લાખો ભાવિકોના હૃદયના આનંદ, ઉત્સાહ અને શ્રદ્ધાભાવ સાથે કલાકો સુધી ચાલનારા પ્રભુ જન્મોત્સવના આ અવસર નિમિત્તે પરમ ગુરુદેવ પ્રેરિત અર્હમ યુવા સેવા ગ્રુપના ઉપક્રમે સમગ્ર દેશના અનેક ક્ષેત્રોના હજારો ગરીબ પરિવારોમાં મિષ્ટ લાડવાના વિતરણ સાથે સહુના મુખ પર પ્રભુ જન્મોત્સવનો આનંદ અને મીઠાશ પ્રસરાવવામાં આવશે.
પ્રભુ જન્મોત્સવનો આ કાર્યક્રમ યુટયુબ, ફેસ બુક, ઝૂમ લાઈવ, તેમજ સોહમ ટી.વી. ચેનલ અને સંતવાણી ટી.વી.ચેનલ પર લાઈવ દર્શાવવામાં આવશે. પ્રભુભક્તિમાં ભીંજાઈને આ ભવ, પરભવ અને ભવોભવને ધન્ય બનાવવા દરેક ધર્મપ્રેમી ભાવિકોને આ અવસરે જોડાઈ જવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
Subscribe to Whatsapp Broad cast