Kutch Chaturmas Pravesh

Language : Gujarati
રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ 42 સંત-સતીજીનો પુણ્યવંતા પુનડી ગામમાં થયો ચાતુર્માસ મંગલ પ્રવેશ
રિલાયન્સ ફાઉન્ડેશને આપ્યું માતબર અનુદાન ગરીબોના ભોજન અર્થે
ખંત અને ખમીરીની ભૂમિ એવી કચ્છની ધરતી પર પુણ્યવંતા પુનડી ગામના પાવન પ્રાંગણે પુનડીના શ્રી એસ.પી.એમ પરિવારની ભાવભીની વિનંતીનો સ્વીકાર કરીને રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ 6 સંતો તેમજ પૂજ્ય શ્રી પ્રબોધિકાબાઈ મહાસતીજી, પૂજ્ય શ્રી પરમ સંબોધિજી મહાસતીજી આદિ ઠાણા 36 મળીને એક સાથે 42 સંત-સતીજીઓ SPM આરોગ્યધામ પુનડી ખાતે કલ્યાણકારી કચ્છ ચાતુર્માસ અર્થે પધારતા અત્યંત હર્ષ ઉલ્લાસ અને ભક્તિ ભાવના સાથે એમના ચાતુર્માસ મંગલ પ્રવેશને આવકારતી ભવ્ય શોભાયાત્રામાં કચ્છી લોક પરંપરાની કલાત્મકતા, અષ્ટમંગલના પ્રતિકો, જયનાદ ગુંજવતા વિશાળ સંખ્યામાં ભાવિકો, નૃત્ય કીર્તના આદિ અનેકવિધ વિવિધતાઓથી શોભાયાત્રા ગાજતી ગુંજતી ડુંગર દરબારના વિશાળ શામિયાણામાં વિરામ પામતા શંખનાદ અને હજારો ભાવિકોના જયનાદ સાથે પરમ ગુરુદેવનું અહોભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું.
પ્રથમવાર કચ્છમાં પધારેલા પરમ ગુરુદેવને આવકારવા આ અવસરે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. શ્રી નીમાબેન આચાર્ય, મુન્દ્રા-માંડવી ક્ષેત્રના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી, રાપરના ધારાસભ્ય શ્રી સંતિકબેન આરેઠીયા, ભાજપના શ્રી કેશુભાઈ પટેલ, અંજારના ધારાસભ્ય શ્રી વાસણભાઈ આહીર, અંબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનભાઈ જાડેજા, પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતા જેવી રાજકીય હસ્તીઓની સાથે રાજવી પરિવારના મહારાણી સાહેબા શ્રી પ્રીતિદેવીજી-કચ્છ, ઠાકોર સાહેબ શ્રી મયુરધ્વજસિંહજી-તેરા, રાણી સાહેબા શ્રી આરતી કુમારીજી-તેરા, ઠાકોર સાહેબ શ્રી કૃતાર્થસિંહજી-દેવપુર, કુંવર સાહેબ શ્રી ઇન્દ્રજીતસિંહજી-નલિયા ઉપરાંતમાં પુનડીના શ્રી રવિભાઈ સંગોઇ, ચેન્નઈથી શ્રી સુગલચંદજી જૈન, શ્રી રમેશભાઈ દામાણી, શ્રી દિલીપભાઈ ધોળકિયા, શ્રી કાંતિભાઈ કપાસી જેવા મહાનુભાવોની સાથે ગોંડલ સંપ્રદાયના શ્રી પ્રવીણભાઈ કોઠારી, શ્રી હરેશભાઈ વોરા, શ્રી જીગ્નેશભાઈ વોરા આદિ સમગ્ર સૌરાષ્ટ્ર- ગુજરાત મુંબઈના શ્રી સંઘ પદાધિકારીઓ, અને સમગ્ર ભારતથી હજારો ભાવિકો પ્રત્યક્ષ પુનડીમાં પધારીને અને લાઇવના માધ્યમે દેશ-વિદેશના હજારો ભાવિકો ચાતુર્માસ અભિવંદના અર્પણ કરવા જોડાઈ ગયા હતા.
કચ્છ કલ્યાણકારી સમગ્ર ચાતુર્માસના પુણ્યવંતા સંઘપતિ શ્રી પ્રવીણભાઈ છેડાનું આ અવસરે ઉપસ્થિત શ્રી સંઘ પદાધિકારીઓ દ્વારા ગૌરવવંતી પાઘડી અને શાલ સાથે સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી SPM પરિવાર દ્વારા ગુરુરૂપી કુંભાર દ્વારા ઘડવામાં આવેલા શિષ્યરૂપી ઘડાને પાકો ઘડો બનાવવા વિનંતી કરવામાં આવેલા સ્વાગતના દ્રશ્યો સહુ માટે હૃદયસ્પર્શી બની રહ્યા હતા. પરમ ગુરુદેવના હસ્તકમલમાં પોથી અર્પણ કરવાનો લાભ શ્રી SPM પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો.
વિશેષમાં મુંબઈથી સ્પેશિયલ ટ્રેન દ્વારા કચ્છમાં પધારેલા ભાવિકોની અનુમોદનાનો લાભ, ટ્રેનની દરેકે દરેક વ્યવસ્થા આદિનો લાભ લેનારા શ્રી કિરીટભાઈ મહેતા, શ્રી પરાગભાઈ શાહ, શ્રી રમેશભાઈ મોરબીયા, શ્રી રાજેશભાઈ કોઠારી, શ્રી ચંદ્રકાંતભાઈ વાડીલાલભાઈ શાહ, શ્રી અનિલભાઈ ભાયાણી આદિ ઉદારહૃદયા ભાવિકોનું ભાવભીનું સન્માન SPM પરિવારના શ્રી મૂલરાજભાઈ છેડા, શ્રી રાજનભાઈ છેડાના હસ્તે કરવામાં આવ્યું હતું. આગમ ગાથા સ્વાધ્યાય ઈ-બુક તેમજ 100થી વધુ ભક્તિ ગીતોના સંગ્રહને સોશિયલ મીડિયાના 150થી વધુ પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવતા આનંદ છવાયો હતો.
રિલાયન્સ ફાઉન્ડેશનના શ્રી અનંતભાઈ મુકેશભાઈ અંબાણીના ઉદારદીલા સહયોગે અર્હમ યુવા સેવા ગ્રુપના ઉપક્રમે હજારો ગરીબોને ભોજન આપવા સ્વરૂપ ‘અનંત અર્હમ આહાર પ્રકલ્પ’નું ઉદઘાટન રાજવી પરિવારના હસ્તે કરવામાં આવતા જય જયકાર વર્તાયો હતો. ગત ફેબ્રુઆરીમાં દીક્ષા અંગીકાર કરનારા પૂજ્ય શ્રી પરમ વિશુદ્ધિજી મહાસતીજી 4 મહિનાના દીક્ષા જીવનમાં એક માસક્ષમણ ઉપરાંત 14માં ઉપવાસના પ્રત્યાખ્યાન સાથે આગળ વધી રહ્યા છે ત્યારે ઉપસ્થિત સૌ અહોભાવિત બન્યા હતા.
અર્હમ યુવા સેવા ગ્રુપના સુંદર ભક્તિ નૃત્ય તેમજ લુક એન લર્નના બાળકો અને દીદીઓ દ્વારા કરવામાં આવેલી પાંચ અભિગમ આધારિત પ્રેરણાત્મક પ્રસ્તુતિ અને અહોભાવભીની અભિવંદના સાથે આ અવસર મેઘરાજાના અમીછાંટણા એ માંગલ્ય સર્જી ગયો હતો. બપોરના સમયે આયોજિત ગુરુ સમર્પણ અવસરમાં પરમ ગુરુદેવના ચરણમાં શ્રદ્ધા-ભક્તિ અને સમર્પણભાવની ભાવભીની હૃદયસ્પર્શી અભિવ્યક્તિ કરીને હજારો ભાવિકોએ ગુરુ-શિષ્યની ગૌરવવંતી પરંપરાના અનન્ય દર્શન કરાવ્યા હતા. ગુરુ પૂજનનો લાભ મકાતી-શાહ પરિવારે 22 L માં લીધેલ.

Subscribe to Whatsapp Broad cast